
અશ્વિન ચૌહાણ વ્યવસાયથી અધ્યાપક,વ્યસનથી વાચક,અધિકારથી લેખક,ફરજથી સંપાદક,નિજાનંદથી કુદરતચાહક અને શોખથી તસવીરકાર છે! મૂળે ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી. થયા બાદ,તેમણે પત્રકારત્વમાં બી.સી.જે.પી.(સુવર્ણચંદ્રક વિજેતા), એમ.જે.એસ.(પ્રથમ વર્ગ-વિશેષ યોગ્યતા),એમ.ફિલ.અને પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેમણે ભારત સરકારના દૂરસંચાર વિભાગમાં કનિષ્ઠ દૂરસંચાર અધિકારી(જે.ટી.ઓ.) તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ઈ.સ.૧૯૯૬થી ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગમાં વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે.
અશ્વિન ચૌહાણે 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા' શીર્ષક અંતર્ગત અનુપારંગત(એમ.ફિલ.) કક્ષાએ તુષાર ભટ્ટ ( પૂર્વ નિવાસી તંત્રી,'ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક,અમદાવાદ આવૃત્તિ )ના માર્ગદર્શનમાં સંશોધનકાર્ય સંપન્ન કર્યું હતું.
તેમણે 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે )'શીર્ષક હેઠળ વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) કક્ષાએ ડૉ.રઘુવીર ચૌધરી(પૂર્વ પ્રમુખ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ)ના માર્ગદર્શનમાં મહા નિબંધ પૂર્ણ કર્યો હતો.
તેઓ ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતાં 'અભિદૃષ્ટિ' માસિકના સહસંપાદક, સ્વાસ્થ્ય-જાગ્રતિ કરતાં 'એઇડ્સ-પ્રતિકાર' સામયિકના સંપાદક અને વિકાસના મુદ્દાની વાત માંડતાં 'વલોણું' વિચારપત્રના તંત્રી છે.
અશ્વિન ચૌહાણનું વીજાણુ ઠેકાણું ashwin_vidyapeeth@yahoo.co.in છે. તેમનો હરતો-ફરતો સંપર્ક-સંવાદ ૯૬૩૮૯ ૮૧૫૧૧ ઉપર થઈ શકે છે.
**************************************


No comments:
Post a Comment